અમદાવાદ: આજે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. રથયાત્રા પહેલાં મંદિરના મહંત દિલિપદાસજી મહારાજના હસ્તે ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ. સૌથી પહેલાં ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો અને પછી ભગવાન નીજરથમાં બિરાજ્યા હતા અને રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો. અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં શનિવારે નિકળનારી 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે અને ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે. રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થયા એ માટે અમદાવાદ પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે એ માટે વીસ હજાર કરતા વધારે પોલીસ કર્મચારીઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
રથયાત્રામાં અખાડા, ભજનમંડળીઓ, હાથીઓ પણ જોવા મળી રહ્યાં છે. જો કે એક દુર્ઘટના ઘટી. જેમાં રથયાત્રામાં કરતબ કરી રહેલો એક કરતબબાજ ઇજાગ્રસ્ત થયો છે. અખાડામાં એક કરતબબાજને કરતબ કરતા કરતા ઈજા પહોંચી છે. કરતબ કરતી વખતે કરતબબાજના મોઢા પર તલવાર વાગી ગઇ છે. પાંચકુવા પાસે કરતબ કરતા ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે કરતબબાજને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હાલ રથયાત્રા શાંતિપૂર્વક આગળ વધી રહી છે. લોકો ભગવાનની એક ઝલક લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. 17 કિમી લાંબી આ રથયાત્રાનો આરંભ નીજમંદિરથી સરસપુર સુધી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે